શાંત ઝરુખે વાટ નિરખતી….. અને વરસો બાદ ફરીથી આજે એ જ ઝરુખો ….કયા ગઝલપ્રેમીએ ‘સૈફ પાલનપુરી’ ની આ નઝમને શ્રી ‘મનહર ઉધાસ’ ના સૂરીલા કંઠે નહીં સાંભળી હોય? ઘણીવાર આ નઝમ સાંભળીને મને થતું કે શાયરે જે વ્યક્તિને જાણતા પણ નથી તેને માટે શા માટે આટલું દર્દ ભર્યું ગીત લખ્યું છે? ઘણા ખાંખા-ખોળા કર્યા પછી મને આ નઝમનું નીચે મુજબ અર્થઘટન મળ્યું છે, જે સાહિત્યપ્રેમીઓની વિચારણા માટે રજુ કરું છું:-
અહીં ઝરુખો એ જિંદગીનું પ્રતિક છે. પહેલો ભાગ જીવનની શરુઆતના ભાગ- બાળપણને વર્ણવે છે. બાળકની નિર્દોષ સુંદરતાને શાયરે એક સુંદરી સાથે સરખાવી છે. અને બીજા ભાગમાં જીવનના અંત ભાગનું- મૃત્યુ સાવ નજીક આવી ગયું હોય તે ઘડીનું કરુણ વર્ણન આપણને પણ સુના સુના નથી કરી નાંખતું?
સ્વર: મનહર ઉધાસ
શાંત ઝરુખે વાટ નિરખતી રૂપની રાણી જોઇ હતી
મેં એક શહેજાદી જોઇ હતી…
એના હાથની મેહંદી હસતી હતી, એનું આંખનું કાજળ હસતું હતું
એક નાનું સરખું ઉપવન જાણે મોસમ જોઇ મલકતું હતું.
એના સ્મિતમાં સો સો ગીત હતાં, એની ચુપકીદી સંગીત હતી,
એને પડછાયાની હતી લગન, એને પગરવ સાથે પ્રિત હતી.
એણે આંખના આસોપાલવથી એક સ્વપ્ન મહેલ શણગાર્યો હતો,
જરા નજરને નીચી રાખીને અણે સમયને રોકી રાખ્યો હતો.
એ મોજાં જેમ ઉછળતી હતી ને પવનની જેમ લેહરાતી હતી,
કોઇ હસીને સામે આવે તો બહું પ્યાર ભર્યું શરમાતી હતી.
એને યૌવનની આશીષ હતી, એને સર્વ બલાઓ દુર હતી,
એના પ્રેમમાં ભાગીદાર થવા ખુદ કુદરત પણ આતુર હતી.
વર્ષો બાદ ફરીથી આજે એજ ઝરુખો જોયો છે…
ત્યાં ગીત નથી સંગીત નથી, ત્યાં પગરવ સાથે પ્રિત નથી,
ત્યાં સ્વપ્નાઓના મહેલ નથી ને ઉર્મિઓના ખેલ નથી,
બહુ સુનું સુનું લાગે છે, બહુ વસમું વસમું લાગે છે…
એ નહોતી મારી પ્રેમિકા, એ નહોતી મારી દુલ્હન,
મેં તો એને માત્ર ઝરુખે વાટ નિરખતી જોઇ હતી
કોણ હતી એ નામ હતુ શું, એ પણ હું ક્યાં જાણું છું
તેમ છતાંયે દિલને આજે વસમું વસમું લાગે છે,
બહુ સુનું સુનું લાગે છે…
———————————————–
ફરમાઇશ કરનાર મિત્ર: રિતેશ