સ્વરકાર: રસિકલાલ ભોજક
સ્વર: નીરજ પાઠક
આજ ઘન વરસો ઘનશ્યામ,
રડતી વસુંધરા તરસી પુકારે,
ઘન વરસો ઘનશ્યામ.
મનનું ગગન ગોરું ગોરંભી લીધું,
પ્રીત પ્રલાપોનું ગર્જન કીધું,
તડપાવો શાને અજંપે ઓ ઘનશ્યામ,
ઘન વરસો ઘનશ્યામ.
વરસે વાદલડીના ઘોર અંધારે,
છલકે આંખલડીની અમિયલ ધારે,
પળ-પળ અંતર ઝંખે ઓ ઘનશ્યામ,
ઘન વરસો ઘનશ્યામ.
સ્વરાંકન: અજિત મર્ચન્ટ
સ્વર: નીરજ પાઠક
સુખના સુખડ જલે રે મારા મનવા!
દુઃખના બાવળ બળે,
સુખડ જલે ને થાય ભસમની ઢગલી
ને બાવળના કોયલા પડે.
મારા મનવા! તરસ્યા ટોળે વળે.
કોઈનું સુખ ખટરસનું ભોજન,
કોઈ મગન ઉપવાસે;
કોઈનું સુખ આ દુનિયાદારી,
કોઈ મગન સંન્યાસે.
રે મનવા ! કોઇ મગન સંન્યાસે.
સુખના સાધન ને આરાધન
લખ ચકરાવે ચડે રે મારા મનવા!
તરસ્યા ટોળે વળે.
કોઈ પરમારથમાં સુખ શોધે,
કોઈ પરદુઃખે સુખિયા, રે મનવા!
ભગત કરે ભગતીનો ઓછવ,
કોઈ મંદિરના રે મુખિયા.
રે મનવા ! કોઈ મંદિરના મુખિયા.
સમદુખિયાનો શંભુમેળો
ભવમાં ભેળો મળે, મળે રે મારા મનવા!
તરસ્યા ટોળે વળે.
સુખનાં સુખડ જલે રે
મારા મનવા !
દુઃખના બાવળ બળે.