મરણોત્તર – રમેશ પારેખ

August 4th, 2009 Leave a comment Go to comments

પઠન: અંકિત ત્રિવેદી

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

હું મરી ગયો.
અંતરિયાળ.
તે શબનું કોણ?
તે તો રઝળવા લાગ્યું.
કૂતરું હાથ ચાવી ગયું
તો સમળી આંતરડાનો લચકો ખેંચી ગઈ
કાગડા મજેથી આંખો ઠોલે
કાન સોંસરી કીડીઓ આવે-જાય
સાલું, સાવ રામરાજ ચાલે…
પવન દુર્ગંધથી ત્રાસીને છૂ
તે વાળ પણ ન ફરકે
– ને આ બાજુ સાંજ પડું પડું થાય.
ઘેર તો જવાનું હતું નહીં.
આખો રસ્તો પગ પાસે બટકેલો પડ્યો હતો.
હું સારો માણસ હતો.
નખમાંય રોગ નહીં ને મરી ગયો.
કવિતા લખતો. ચશ્માં પહેરતો.

ઝાડપાન આઘાત લાગવાના દેખાવમાં ઉભા છે.
પાછળ ઘર કલ્પાંત કરતું હશે.
અને એમ સહુ રાબેતાભેર.

ખરો પ્રેમ માખીનો
જે હજી મને છોડતી નથી.
હું બિનવારસી,
ને જીવ સાલો, કોઈને પેટ પડી
સુંવાળા, સુંવાળા જલસા કરતો હશે.
પણ કાકો ફરી અવતરશે
ને માણસગીરી કરશે, હી હી હી…

– આમ વિચારવેડા કરતો હતો
તેવામાં બરોબર છાતી પર જ –
ના, ના, ઘડીક તો લાગ્યું કે
અડપલું કિરણ હશે.
પણ નહોતું.
છાતી પર પતંગિયું બેઢું’તું…
પતંગિયું… આલ્લે…
સડસડાટ રૂંવાડાં ઊભાં…
લોહી ધડધડાટ વહેવા માંડ્યું
ઓચિંતી ચીસ નીકળી ગઈ કે
હું મરી ગયો નથી…

સોનલ, ત્યારે હું ફરી જીવતો થયો હોઈશ?

Please follow and like us:
Pin Share
  1. Maheshchandra Naik
    August 4th, 2009 at 22:22 | #1

    કાવ્ય અને કાવ્યપઠન બને દિલમા સોંસરી ઉતરી જાય છે……..અભિનદન અને આભાર…

  2. August 5th, 2009 at 09:46 | #2

    જ્યાં ર.પા અને અંકિતજી ની વાત આવે, ત્યારે, વાત ની શરુઆત જ … ”વાહ… અતિસુંદર” થી થાય… અને અંત નુ તો નામોનિશાન જ ના હોય…. બન્ને ને, જેમ જેમ વધુ વાંચીએ/સાંભળીએ, એમ એમ જાણે કાવ્યનશો વધુ ચઢતો જાય… આભાર દોસ્ત…

  3. Bharat Atos
    August 5th, 2009 at 16:19 | #3

    રમેશ પારેખનું કાવ્ય જેટલું સરસ છે તેટલું જ અંકિતભાઇનું પઠન.
    આભાર.

  1. No trackbacks yet.