રસ્તો ક્યાં છે? – ચંદ્રકાન્ત શેઠ
પઠન: ચંદ્રકાન્ત શેઠ
બ્હાર નીકળવું મારે,
રસ્તો ક્યાં છે?
પાંખ નથી રે, પીંછા પીંછા,
ડાળો વચ્ચે પિંજર દીઠાં,
એક વિહગને બ્હાર જવું છે,
નભમાં બારી ક્યાં છે?
છીપની દીવાલ બંધ,
કણ રેતીનો,
સહારા જેવો.
સ્વાતિનો આ સમય
આખુંયે આભ ઊજડ્યા જેવો.
આંખોમાં તરફડતાં મીન,
જનારના પડછાયા વાગે, ભીતર ઊતરે ખીણ:
ઊભા રહો તો જાવ ચણાતા,
ચાલો તો વિખરાતા!
દરિયાનાં મોજાંય મગર થઈ મરજીવાને ખાતાં!
કાંઠો હોડી ગળી રહ્યો છે…
ભીંત ભીતરને ગળી રહી છે…
પથ્થર ! મોઢું ખોલી બોલો, રસ્તો ક્યાં છે?
તમે અહીં જ્યાંથી આવ્યા તે રસ્તો ક્યાં છે?
Related posts:









એક સરસ મુક્તકાવ્ય… પ્રવાહી શબ્દયોજના અને લયમાધુર્ય …. ઘણા વખતે ગુજરાતી ક્લાસિકલ/પ્રશિષ્ટ કાવ્યનું કુદરતી પઠન માનવની મઝા પડી.