મન માને તબ આજ્યો – ઉશનસ્
June 7th, 2010
1 comment
સ્વરાંકન: અમર ભટ્ટ
સ્વર: ઐશ્વર્યા મજમુદાર
મન માને તબ આજ્યો
માધો, મન માને તબ આજ્યો રે.
આ ઘડીએ નહીં રોકું,
રોક્યું કોણ અહી રોકાશે?
લ્યો ખોલી દીધા દરવાજા,
વીંટળાયા અવકાશે,
મનભાવન ઘર જાજ્યો રે.
ખત નહીં લખીએ, નહીં લખલખીએ,
નહીં કહીએ કે તેડો,
કોઈ દન અહીં થઈ પાછા વળજ્યો,
એટલું જાચે નેડો,
બે ઘડી રોકાઈ જાજ્યો રે.
મૂકી ગયા જે પગલાં,
તેની ધડાકે હજીયે ધૂળ,
વિરહાને નહીં થાક,
અમો તો હરઘડીનાં વ્યાકુળ,
હર ટહુકો દરદે તાજો રે.









