સ્વરાંકન / સ્વર: પુરષોત્તમ ઉપાધ્યાય
તકદીર ખુદ ખુદાએ લખી પણ ગમી નથી
સારું થયું કે કોઈ આ મનુજે લખી નથી.
ત્યાં સ્વર્ગ ના મળે તો મુસીબતના પોટલા,
કે મારવાની એટલે મેં ઉતાવળ કરી નથી.
કેવ શુકનમાં પર્વતે આપી હશે વિદાય,
નિજ ઘરથી નીકળી નદી પાછી વળી નથી.
શ્રદ્ધાનો હો વિષય તો પુરાવાની શી જરૂર?
કુરાનમાં તો ક્યાંય પયમ્બરની સહી નથી.
મૃત્યુની ઠેસની વાગશે તો શું થશે ‘જલન’,
જીવનની ઠેસની તો હજુ કળ વળી નથી.
સ્વરાંકન: ગૌરાંગ વ્યાસ
સ્વર: જયેશ નાયક
જીવનના નામની સાથે કઝાનું નામ આવે છે
જહાંના નામની સાથે ફનાનું નામ આવે છે
હું ચિતાને દરદ માની સુરા પી જાઉં છું કારણ
કિતાબોમાં દવા સાથે સુરાનું નામ આવે છે
અહમ કરનાર વ્યક્તિઓની જો નામાવલી કરીએ
તો સૌથી મોખરે એમાં ખુદાનું નામ આવે છે
પ્રવેશીશું કઈ રીતે જલન દોઝખના કમરમાં
ગુન્હેગારો તરીકે અહીં બધાનું નામ આવે છે.
સ્વર: સીમા ત્રિવેદી
જે કંઈ મને મળે તો એ માંગ્યા વગર મળે,
દિલ પણ હવે મળે તો તમન્નાથી પર મળે.
નાગણ સમી આ રાત સલૂણી બની રહે,
મુજને ફરી જો તારા મિલનની ખબર મળે.
જીવનમાં એજ આશ છે મન હો તો કર કબુલ,
દુનિયા મને મળે જો તમારી નજર મળે.
સંધ્યા ઉષાના તો જ તમાશા થશે ખતમ,
ધરતી મહીં ગગનને જો રહેવાને ઘર મળે.
છે દિલની માંગ કે મળે છુટકારો ગમ થકી,
છે ગમ માંગ એ કે ‘જલન’નું જીગર મળે.
સ્વર: જયેશ નાયક
રહેવા ન કોઈ સ્થાન હતું, કોણ માનશે?
તો પણ અમારું સ્થાન હતું, કોણ માનશે?
એણેય દીધું ઠોકરે મારા સ્વમાનને,
જેના ઉપર ગુમાન હતું, કોણ માનશે?
નૈયા અમારી ગર્ક થવા લાગી ત્યાં સુધી,
બીજે અમારું ધ્યાન હતું, કોણ માનશે?
લૂંટાયો તોયે કંઈ વ્હારે ન આવ્યું,
પડખે બધું જહાન હતું, કોણ માનશે?
મારા પતનની પેરવી કરતુતું એ ‘જલન’,
મારું જ ખાનદાન હતું, કોણ માનશે?
સ્વર: દીપ્તિ દેસાઈ
મને શંકા પડે છે કે, દિવાના શું દિવાના છે?
સમજદારી થી અળગા થઈ જવાના સૌ બહાના છે.
ખુદા અસ્તિત્વને સંભાળજે, કે લોક દુનિયાનાં,
કયામતમાં એ તારી રૂબરૂ ભેગા થવાના છે.
સજા દેતો નથી એ, પાપીઓને એટલા માટે,
મરી ને આ જગતમાંથી, બીજે એ ક્યાં જવાના છે?
રહે છે આમ તો શેતાનના કબજા મહીં તો પણ,
‘જલન’ને પૂછશો તો કહેશે કે, બંદા ખુદાના છે.
———————————————-
ગઝલનાં અન્ય શેર અહીં વાંચો: કવિલોક
સ્વર: મનહર ઉધાસ
“કાપી કાપી એનાં કટકાઓ કરી નાખે સ્વજન,
કોઈપણનાં શીશ પટકીને કરે કાતિલ રૂદન,
આ જગતમાં સ્વાર્થનું કેવું ચલણ છે શું કહું?
લાશ જો સોનું બની જાયે તો ના પામે કફન.”
દુઃખી થવાને માટે કોઈ ધરતી પર નહીં આવે,
હવે સદીઓ જશે ને કોઈ પયગમ્બર નહીં આવે.
હવે તો દોસ્તો ભેગા મળી વ્હેંચીને પી નાખો,
જગતમાં ઝેર પીવાને હવે શંકર નહીં આવે.
આ બળવાખોર ગઝલો છોડ લખવાનું ‘જલન’ નહીંતર,
લખીને રાખજે અંજામ તુજ સુંદર નહીં આવે.
કરીને માફ સ્નેહીઓ ઉઠાવો એક બાબત પર,
‘જલન’ની લાશ ઊંચકવા અહીં ઈશ્વર નહીં આવે.